ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મમતા

તૃષ્ણા રહિત
અહં મમત્વ ત્યાગે
તે શાંતિ પામે

તે જ શાંતિને મેળવે, તૃષ્ણાના જેને,
અહંકાર મમતા તજે, શાંતિ મળે તેને.

विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥

भावार्थ : जो पुरुष सम्पूर्ण कामनाओं को त्याग कर ममतारहित, अहंकाररहित और स्पृहारहित हुआ विचरता है, वही शांति को प्राप्त होता है अर्थात वह शान्ति को प्राप्त है ॥71॥

અહં મમ ઈતિ બંન્ધ: મમાહં નેતિ મુક્તતા
બંધ મોક્ષો: ગુણૈર્ભાતિ, ગુણૈ: પ્રકૃતિ સંભવા:

તૃષ્ણા એટલે જે પ્રાપ્ત નથી થયું તે પ્રાપ્ત કરવાની ઈચ્છા. મમતા એટલે જે પ્રાપ્ત છે તેને ટકાવી રાખવાની ઐષણા. આ તૃષ્ણા અને મમતા નું મુખ્ય કારણ દેહની અંદર હું પણાની ભાવના છે.

જ્યાં સુધી દેહમાં હું પણું છે ત્યાં સુધી દેહને ઉપયોગી વસ્તુઓની મમતા રહેશે અને ઈંદ્રિયોને વિષયભોગની તૃષ્ણા રહેશે.

શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રમાં કહે છે કે અંહ અને મમ એટલે કે હું અને મ્હારું તે જ બંધન છે. હું પણા અને મારાપણાનો ત્યાગ તે જ મુક્તિ છે. શરિર અને શરિરિ, દેહ અને દેહી બંન્ને જુદા છે. જેવી રીતે ગૃહ અને ગૃહસ્થ જુદા છે. તેમ છતાં કોઈ ગૃહને જ ગૃહસ્થ માની લે તો તે જેમ ભુલ ગણાય તેમ કોઈ દેહને જ દેહી માની લે તો તે ભુલ ગણાય. ભુલની હંમેશા સજા હોય છે. દેહ માં દેહી પણાની ભાવના કરવાની શું સજા છે? તો તેનો જવાબ છે અશાંતિ. શરિરને કશીક હાની થશે તો શરિરિ અશાંત થશે. તેવી રીતે શરિરને સુખ આપનારા પદાર્થો ચાલ્યાં જશે તો અશાંતિ થશે. આ ઉપરાંત ઈંદ્રિયોને વિષયભોગની ઈચ્છા છે તે તૃષ્ણા પુરી કરવા માટે સતત અશાંતિ રહેશે.

આ અશાંતિનો ઉપાય શું તૃષ્ણાને સતત પુરી કરવાથી લાવી શકાય? ના, જેમ જેમ તૃષ્ણા પુરી થશે તેમ તેમ નવી તૃષ્ણા ઉભી થશે.

શરિરને માટે ઉપયોગી અને જેને આપણે મ્હારા કહીએ છીએ તેવા પદાર્થો અને વ્યક્તિઓને સતત આપણાં સહવાસમાં રાખી શકાય? ના પદાર્થો અને પ્રાણીઓ ઉપર આપણો કોઈ કાબું નથી હોતો.

તો શું શરિર સદા ટકી રહે તેવા ઉપાયો યોજી શકાય? ના શરીરમાં રોગ, ઘડપણ, મૃત્યું આવવાના જ છે તેની ઉપર આપણો કોઈ કાબુ નથી હોતો.

આ શરિર ત્રિગુણાત્મ્ક પ્રકૃતિમાંથી બને છે. સાત્વિક અહંકારની તન્માત્રાઓમાંથી જ્ઞાનેન્દ્રિયો અને મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર રુપી અંત:કરણ બને છે. રાજસી અહંકારની તન્માત્રાઓમાંથી વ્યાન,અપાન,સમાન,પ્રાણ,ઉદાન તેમ પાંચ પ્રાણ તથા પાંચ કર્મેન્દ્રિયો બને છે. તામસી અહંકારની તન્માત્રાઓમાંથી સ્થુળ શરીર બને છે. અવિદ્યામાંથી કારણ શરીર બને છે. આ ત્રણે ય શરિરો પ્રાકૃતિક છે. જ્યારે શરીરી ચૈતન્ય આત્મા છે. આ આત્માનો આ ત્રણે શરીર સાથે વાસ્તવિક કશો સંબધ નથી તે જ્ઞાન ધ્યાન દ્વારા અનુભવી લેવાથી શરીરમાં હું પણાનો અહંકાર છુટે છે. જો શરીર પણ મ્હારું ન હોય તો તેની સાથે સંકળાયેલા પ્રાણી પદાર્થો કેવી રીતે મ્હારા હોય? તેથી અન્ય પ્રાણી પદાર્થોમાંથી મમત્વ છુટે છે. વળી ઈંદ્રિયો અને મનને જેણે વશ કર્યાં છે તેમને વિષયોમાં તૃષ્ણા રહેતી નથી તેથી તેમની કામના અને સ્પૃહા છુટે છે.

આવી રીતે સર્વ બંધનોથી મુક્ત આત્મા શાંતિને મેળવે છે.